કોમની સુધારણાનો એક ખોટો પ્રયત્ન
March 28, 2024રહેઠાણ
March 29, 2024આ પ્રમાણે હઝરત પીર મશાઇખ (રહ.)ના વીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એક બાજુ અજ્ઞાનતા અને કુરિવાજોથી ગ્રસ્ત મોમિન કોમ આપના વાલિદના માધ્યમથી આપને દિલથી માનતી હતી તો બીજી બાજુ તેના સુધારા માટે આપ અતિશય બેચેન હતા પરંતુ આપની પાસે કોઈ રસ્તો નહતો, આ જ હાલતમાં ઘણા દિવસો પસાર થઈ ગયા, પછી આપને વિદ્યા પ્રાપ્તિનો શોખ જાગ્યો કે તેના વડે સ્વયં અલ્લાહનો પરિચય પ્રાપ્ત કરીશ અને કોમનો સુધારો પણ શક્ય બનશે, હઝરત પીર મશાઇખ (રહ.) પોતાનો આ અહેવાલ વર્ણવતાં લખે છે:
“વાલિદ સાહબની વફાત પછી જ્યારે સાન વળી ત્યારે આ ચિંતા સવાર થઈ કે જીવનનો કોઈ ભરોસો નથી, મારા મુરીદો બિનમુસ્લિમોના ભેદી બની ગયા છે, હે અલ્લાહ! તારી કૃપાથી કાફિરોના કુફ્રથી મને છૂટકારો આપ, આ ચિંતામાં ઘણા દિવસો વીતી ગયા પરંતુ મેં કોઇની સામે આની ચર્ચા કરી નહીં (અને મેં દુઆ કરી) હે અલ્લાહ! તેં મને મશાઇખ જેવું મહાન નામ અર્પણ કર્યું છે, આ નામની લાજ રાખી લે, તારા નબીની દોસ્તીનો વસીલો, જ્યારે આવી ચિંતા થવા લાગી તો વિદ્યાપ્રાપ્તિ તરફ ધ્યાન ગયું અને ૧૦૮૦ હિજરીમાં સફર માટે સામાન તૈયાર કર્યો, તે સમયે હું વીસ વર્ષનો હતો પરંતુ એ ચિંતા પણ સતાવતી હતી કે આટલી વયે કેવી રીતે ઇલ્મ પ્રાપ્ત થશે અને તેના સિવાય મહબૂબની નિકટતા પ્રાપ્ત થશે નહીં તેમજ કાફિરોનું કુફ્ર દૂર થશે નહીં છતાં, ઇલ્મ પ્રાપ્તિમાં મશગૂલ થઈ ગયો, અંતિમ નબીનો વસીલો પકડ્યો જેથી પ્રેરણા મળી અને દુઆ કરી કે હે મારા સર્જનહાર! તું મારી ઉમેદ પૂરી કરજે અને સીધા માર્ગનું ખૂબ શિક્ષણ આપજે.”
(નૂરનામા, બયાન:-૩૧)


શરૂઆતમાં વાણી સાથ આપતી નહતી જેથી બહુ ચિંતા થવા લાગી કે વીસ વર્ષ થઈ ગયાં છે હવે શું કરું, વાણી સાથ નથી આપતી અને ઇલ્મ પ્રાપ્ત કર્યા વગર આ બધી ઉમેદો બેકાર છે અને સાંભળેલી વાતો વડે દીન શીખવવું યોગ્ય નથી, ઇલ્મ વગર લોકોને શું સમજાવીશ અને પાખંડી કેવી રીતે સીધા માર્ગે આવશે જ્યારે ખૂબ ચિંતા થવા લાગી તો અલ્લાહ સમક્ષ દુઆ કરી કે હે મારા મહેબૂબ! મને તારા પયગંબરનો પ્રેમ નસીબ કર અને મારી વાણી ખોલી દે, બહુ આજીજી કરી તો એક વખત અલ્લાહના નબીનો દીદાર થયો, તે સમયે નબીનો પ્રેમ જોયો અને આપનું મુબારક રૂપ તે જ પ્રમાણે જોયું જે રીતે પુસ્તકોમાં વર્ણવેલ છે મેં નબીનો સારી રીતે દીદાર કર્યો, આ મારા પર સર્જનહારની મહેરબાની છે, તે સમયે અંતિમ નબી તરફથી મને ખુશખબર મળી, હવે ઇલ્મનો માર્ગ સમજમાં આવવા લાગ્યો, હવે જુઓ, અલ્લાહે કેવું ઇલ્મ આપ્યું છે, જેવી રીતે મશાઇખ નામ આપ્યું છે એ પ્રમાણે નિશાનીઓ પણ તમે ખુલ્લી આંખે જોઈ લો, તેના વિશે શું લખી શકાય, બદદીન મારી પાસે દીનની તલબ અને અકીદાની શુદ્ધિ માટે આવે છે તો અલ્લાહની કૃપાથી તેનું કુફ્ર ખતમ થઈ જાય છે અને સીધા માર્ગે આવી જાય છે ભલે તે શ્રાવક હોય કે મહેશ્વરી કે પછી મુનાફિક (પાખંડી) મોમિન હોય જે લોકો ધર્મના લૂંટારાના સંપર્કમાં આવ્યા હોય મારી પાસે આવીને તેમનું કુફ્ર નષ્ટ થઈ જાય છે અને જો કોઈ શીયાવાદી મારી પાસે આવે છે તો તે સુન્ની બની જાય છે, એટલી સમજ મને હાંસલ છે, આ નબીની દોસ્તીનો ફૈઝ છે, મારો કોઈ કમાલ નથી અને જો ખાલિક સાથ આપશે તો તેના કરમથી ઘણી વાતો બતાવીશ.
(નૂરનામા, બયાન:-૩૨)

