એ ખુદા! સિદ્દીકની તાબેદારી અને પ્રેમ અર્પણ કર
May 11, 2024બીજા ખલીફા હઝરત ઉમર (ર.અ.)ને ઉમ્મતે મુસ્લિમા (અહલે સુન્નત વલજમાત)ની સર્વસંમતિથી ખિલાફત તથા મહિમામાં બીજું સ્થાન પ્રાપ્ત છે, હઝરત અબૂબક્ર (ર.અ.)ના અવસાન પછી આપ (ર.અ.) ખલીફએ રસૂલ બન્યા.
હઝરત ઉમર (ર.અ.)ની ખિલાફત
હઝરત પીર મશાઇખે ખિલાફત માટે હઝરત ઉમર (ર.અ.)ની નિયુક્તિનો ઉલ્લેખ કરતાં લખ્યું છે:
“અમીરુલ મોમિનીન હઝરત ઉમર (ર.અ.)નો મહિમા મનની હાજરી સાથે સાંભળો, હઝરત અબૂબક્ર (ર.અ.) વધારે બીમાર થયા તો આપે ઈમાનવાળોને એકઠા કરીને ફરમાવ્યું જો તમે રાજી હોવ તો હું તમારાથી એક વચન લેવા માગું છું, તો તમામ સહાબાએ રજામંદી જાહેર કરતાં કહ્યું કે આપ રસૂલે ખુદા (સ.અ.વ.)ના ખલીફા અને યારે ગાર છો, આપની ખિલાફત વિશે કોઈને શંકા નથી, આપ જે કહેવા ઇચ્છો છો તે કહો અમને સ્વીકાર્ય છે તો આપે ફરમાવ્યું કે મેં ખિલાફત વિશે ઇસ્તિખારો કર્યો હતો.”
(ખુલફાએ રાશિદીન,બયાન: ૩૯/૯૬૧)



“રાતના અંતિમ સમયમાં મને ઊંઘ આવી તો મેં સપનું જોયું કે રસૂલે ખુદા (સ.અ.વ.)ના શરીર પર બે કપડાં હતાં પછી આપ (સ.અ.વ.)એ પોતાના ખમીસનો પાલવ સમેટ્યો તો આપ (સ.અ.વ.)નો લિબાસ લીલો થઈ ગયો અને ખૂબ રોશન થઈ ગયો, આપ (સ.અ.વ.) સાથે ખૂબ લાંબુ કદ ધરાવતા બે માણસો હતા અને તેમણે પણ ચળકતો લિબાસ પહેર્યો હતો, આપ (સ.અ.વ.)એ મને સલામ કરી તો મેં દોડીને આપનો મુસાફહો કર્યો અને આપના મુબારક હાથને બોસો આપ્યો ત્યારે મારા દિલને શાંતિ મળી, આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે એ અબૂબક્ર! તમને મળવાનું મન કરી રહ્યું છે, તમે મારી પાસે આવી જાઓ, હવે સમય નથી, આ સાંભળીને સપનામાં જ હઝરત અબૂબક્ર (ર.અ.) રડ્યા.”
(ખુલફાએ રાશિદીન,બયાન: ૪૦/૯૬૨)



“હઝરત અબૂબક્ર (ર.અ.)એ આપ (સ.અ.વ.)ની મુલાકાત માટે (ઉતાવળ વ્યક્ત કરી) તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે થોડા દિવસોમાં જ તમારું અવસાન થશે પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ આપને ખલીફા પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તો હઝરત સિદ્દીક (ર.અ.)એ અરજ કરી કે એ અલ્લાહના નબી! આપ પસંદ કરો તો આપે તેમની વાત સ્વીકારતાં ફરમાવ્યું કે ઉમર ફારૂક ઇબ્ને ખત્તાબ આસમાન અને જમીનમાં પાકિઝા છે અને આપ (સ.અ.વ.) સાથે જે બે માણસો હતા તેમણે કહ્યું કે આપ અણગમતી પરિસ્થિતિઓથી બચી ગયા અને રહમાનની માફી તમને પ્રાપ્ત થાય, આપ ફરિશ્તાઓમાં અને જમીનમાં પણ સિદ્દીક છો.”
(ખુલફાએ રાશિદીન,બયાન: ૪૧/૯૬૩)



“પછી હઝરત અબૂબક્ર સિદ્દીક (ર.અ.)એ સવાલ કર્યો એ રસૂલલ્લાહ! મારાં મા-બાપ આપ પર કુરબાન, આ બંને કોણ છે? મેં એમને ક્યારેય નથી જોયા તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે આ જિબ્રઈલ અને મિકાઈલ છે આટલું કહીને આપ (સ.અ.વ.) રવાના થઈ ગયા ત્યાર પછી હઝરત અબૂબક્ર (ર.અ.)ની આંખ ખૂલી ગઈ અને પછી હઝરત અબૂબક્ર (ર.અ.)ના અવસાન પછી હઝરત ઉમર (ર.અ.) ખલીફએ રસૂલ બન્યા, આ અમીરુલ મોમિનીન ઉમર (ર.અ.) બીજા ખલીફા હતા, જ્યારે પણ હઝરત ઉમર (ર.અ.)નું નામ લો તો રઝિયલ્લાહુ અન્હુ પણ સાથે કહો.”
(ખુલફાએ રાશિદીન,બયાન: ૪૨/૯૬૪)


